Home > તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા > તારક મહેતા – મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?

તારક મહેતા – મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?

હું બદરી-કેદારની જાત્રાએથી પાછો આવ્યો. ત્યાં સુધીમાં ‘બાલુભાઇ વાડીભાઇ સ્મૃતિ ઉધાન’ ઉર્ફે બાવાના બગીચામાં રોજ સાંજે હવાફેર કરવા જવાની ટેવ છૂટી ગઇ હતી. હિમાલયમાં દસ દિવસમાં પૂરતો હવાફેર થઇ ગયો હતો અને અહીં ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ પછી રાજકારણનો વાઇરસ ફેલાયો હતો. તેમાં ગુજરાતનાં રમખાણો ઉપર એક ટીવી ચેનલે તહેલકા કર્યું. ગોધરા સ્ટેશને ટ્રેન સળગાવવા ભાજપવાળાએ કેરોસીનની પરબ ખોલી હતી અને છેક નરોડા સુધી કોમવાદી કેરોસીનના રેલા આવ્યા હતા એવું પુરવાર કરવાનો પ્રયત્ન થયો હતો.

થોડા દિવસ પહેલાં સોનિયાજી ગુજરાતીઓને સમજાવતાં હતાં, ગુજરાતનાં રમખાણો અને નંદીગ્રામનાં તોફાનો સરકાર પ્રેરિત હતાં. સેકયુલર સોનિયાજીએ એકવીસમી સદીની મહાન શોધ કરી છે, કે કોમી રમખાણો નરેન્દ્ર મોદીની મૌલિક શોધ છે. મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે? એમના ચમચાઓ તો એવો જ ઇતિહાસ ઠસાવે કે આ દેશમાં જે કંઇ સર્વશ્રેષ્ઠ છે તે ઇંદિરાજી અને રાજીવજીના પ્રતાપે છે અને એમનાં અધૂરાં મહાન કાર્યોપરિપૂર્ણ કરવા રાહુલબાબા નિર્માયા છે.

મેડમને કોણ ભણાવે કે કોમી રમખાણો મોગલો, અંગ્રેજૉ અને કોંગ્રેસ કાળમાં થતાં હતાં. કોમવાદી પક્ષોને કારણે કોમી રમખાણો નથી થતાં બલકે રમખાણોને કારણે કોમીવાદી પક્ષોને પ્રોત્સાહન મળ્યું છે. ૧૯૪૮માં હું કોલેજના ફસ્ર્ટ યરમાં હતો ત્યારે અમદાવાદના રમખાણમાં અમારું ખાડિયા ચારે બાજુથી ધેરાઇ ગયું હતું. રાત્રે ગોલવાડ અને રાયપુર દરવાજા તરફથી ‘અલ્લાહુ અકબર’ના પોકારો સંભળાતા ત્યારે આખા ખાડિયાની ઘ ડી જતી. અમારાં એક દાદી દરેક પોકારે જાજરૂમાં ભરાઇ જતાં. અફવાખોરાના રાફડા ફાટયા હતા. ફલાણી પોળ પાસે લાશો પડી છે. ફલાણા દરવાજે બે ટોળાં વરચે ધિંગાણું ચાલી રહ્યું છે. મુંબઇથી રોજ સો મવાલીઓ છરીછાકાં સાથે આવે છે.

રમખાણોનો સિલસિલો ચાલતો જ રહ્યો છે અને ચાલ્યા કરશે કારણ કે આપણા રાજકારણીઓ લોકોને સેકયુલર રમકડાંથી રમાડે છે. હવે લઘુમતીઓ પણ એ જૂનાં રમકડાંથી છેતરાતી નથી. આ વખતે માયાવતીએ એવાં રમકડાં કાઢયાં જે બધી વરણના લોકોને લપેટમાં લઇ લે.

લાલીઆઓએ નંદીગ્રામમાં લાલ વાવટા ફરકાવ્યા તો સરકારની તાનાશાહીથી ત્રાસેલી પ્રજાએ કોલકાતાની સડકો સળગાવી. સોનિયામાતાજી ત્યાંનાં તોફાનોને સરકાર પ્રેરિત કહે છે. પ્રેરિત બેરિત જેવું કંઇ છે નહીં. સરકાર પોતે જ પોતાના ગુંડાઓને પોલીસના યુનિફોર્મ પહેરાવી પ્રજા ઉપર છોડી મૂકે છે. પછી લાશો પડે, આગ, લૂંટફાટ, અત્યાચાર-બળાત્કારના આંકડા કોણ નોંધે? સરકાર પોતે જ આવી લાલીલીલા કરે પછી મમતાદીદી ઝાંસીની રાણી પેઠે તલવાર વીંઝ્યાં કરે તો એ બચારી બાઇને કોણ સાંભળે છે? મીડિયાવાળાની ઐસીતૈસી. જૉસેફ સ્ટેલીને રશિયામાં અને માઓએ ચીનમાં લાખ્ખો માણસોની કત્લેઆમ કરી હતી. નથી સ્ટેલીન રહ્યો, નથી સામ્યવાદ. ચીનમાં સરકારે સામ્યવાદનાં વરખ ચોંટાડી રાખ્યાં છે અને પોતે જ મૂડીવાદી થઇ ગઇ છે.હરિ હરિ!

હવે રહી રહીને પિશ્ચમ બંગાળ સરકારને ઔધોગિકિકરણનું ફેફરું પડયું છે. પોતે કમાવા માગે છે પણ ગરીબ પ્રજા પોતાના માનવ હક્કોની માગણી કરે છે તો દે ધનાધન. સાલા, મારવાના થયા છો, તો લેતા જાવ. ગુજરાતમાં બંગાળ થાય તો સોનિયામાતાજી પ્રતિભા પાટીલજીને સોંપી દે પણ લાલ વાવટાને ફરકવા દેવા જ પડે. ગરીબોની લાશો કરતાં અમેરિકા સાથે પરમાણુ કરાર અગત્યના છે અને નંદીગ્રામ પછી કોલકાતામાં દાઝેલા લાલભાઇઓ કુણા પડયા છે. રહી રહીને લાલીઆઓને કોંગ્રેસની ગરજ પડી છે. આવ ભાઇ હરખા, આપણે બે સરખા.

નવેમ્બર મહિનો આવ્યો એટલે દિલ્હીના શીખોના હત્યાકાંડની સંવત્સરી તાજી થઇ. અંગ્રેજીમાં લખતા નામાંકિત લેખક સરદાર ખુશવંતસિંહે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં બળાપો કાઢયો. ૧૯૮૪ના નવેમ્બર ૨૩(કે ૨૪)ના ધોળે દહાડે હજારો શીખોને રહેંસી નખાયા હતા. એમનાં ઘરબાર લૂંટાયાં અને બાળવામાં આવ્યાં હતાં કારણ કે વડાપ્રધાન ઇંદિરાજીની શીખ ચોકીદારોએ હત્યા કરી. તે વખતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘ પોતે શીખ હતા અને આ હિંસાનો વિરોધ કરવાને બદલે રાષ્ટ્ર્પતિ ભવનમાં ભરાઇ રહ્યા હતા, ખુશવંતસિંહ ટેલિફોન પણ રિસીવ કરતા નહોતા.એચ.કે.એલ ભગત, જગદીશ ટાઇટલર, સજજનસિંહ જેવા કોંગ્રેસના મોટાં માથાં આ હિંસક આક્રમણના ઉધાડેછોગ સેનાપતિ થયા હતા. નજરે જૉનાર સાક્ષીઓની હજારો ફરિયાદો થઇ હતી, પણ વાઘને કેમ કહેવાય-તારું મોં લાલ છે? તહેલકાવાળા ત્યારે ઘતા હતા.

જ્ઞાનપીઠ ઉપરાંત અન્ય કેટલાક પુરસ્કારોના વિજેતા, નકસલવાદી, બંગાળના આદિવાસી સમાજના પ્રખર સુધારક, બંગાળી સાહિત્યસર્જનમાં અમૂલ્ય પ્રદાન દ્વારા દેશભરમાં નામાંકિત થયેલાં વયોવૃદ્ધ પદ્મશ્રી શ્રીમતી મહાશ્વેતાદેવીએ તાજેતરમાં જ ટકોર કરી હતી: બંગાળે ગુજરાત પાસેથી ઘણું શીખવા જેવું છે.

પણ સામ્યવાદીઓ મનમોહનસિંહ અને સોનિયાજીને શીખવામાં પડયા છે. બંગાળના અગ્રણ્ય સાહિત્યકારો, કલાકારો અને બૌદ્ધિકોએ ઠેરઠેર લાલીઆઓનાં દમનનો વિરોધ કર્યોપણ એ કોઇને ગાંઠતા નથી. ચૂંટણીને માથે રાખી મારે કબૂલવું પડશે, મારા શાળાકાળથી પીઢ સરકારી અમલદાર થયો ત્યાં સુધી હું કટ્ટર કોંગ્રેસી હતો. પણ ઇન્દિરાજીએ ઇમરજન્સીનો દંડુકો વીંઝ્યો તેમાં રાજકારણ અને લોકશાહીનાં ચીંથરાં થઇ ગયાં. કોંગ્રેસ સિવાયના પક્ષો જૉરમાં આવતા ગયા.

હું તો હવે એકેય પક્ષમાં રહ્યો નથી કારણ કે મને ચારે બાજુ કોંગ્રેસનાં કાટૂર્ન દેખાય છે. નવાં ટાઇટલ સાથે જૂનાં નાટકો ભજવાતાં દેખાય છે. ઇતિહાસમાંથી માણસ એટલું જ શીખ્યો, કે ઇતિહાસમાંથી કંઇ શીખવા જેવું નથી.

– તારક મહેતા

(દિવ્ય-ભાસ્કર)

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a comment